
પરમાનંદ સોની હાલોલ દ્વારા
આચાર્ય દેવવ્રત પંચમહાલ જિલ્લાના બે દિવસીય પ્રવાસ અંતર્ગત કાલોલ તાલુકાના મલાવ ગામે પીએમશ્રી પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમ હેઠળ રાત્રિસભામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કરી સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ગામના દરેક નાગરિકે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાનો સંકલ્પ લેવો જોઈએ. જન્મદિવસ અને લગ્નવાર્ષિકી જેવા પ્રસંગોને વૃક્ષારોપણ સાથે જોડવા અને તેનું જતન કરવાની પણ તેમણે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વૃક્ષો પર્યાવરણ અને માનવ જીવન માટે અમૂલ્ય છે અને ભવિષ્યમાં ઓક્સિજનની અછત જેવી સમસ્યાઓ નિવારવામાં મદદરૂપ બને છે.તેમણે ગ્રામજનોને અઠવાડિયામાં એક દિવસ ગામ અને શેરીઓની સફાઈ માટે સમય ફાળવવા તેમજ વૃક્ષોની સંભાળ રાખવા અનુરોધ કર્યો.

ગામમાં એકતા, ભાઈચારો અને સમરસતાનું વાતાવરણ જાળવવા તેમણે પ્રશંસા વ્યક્ત કરી હતી.સ્વાસ્થ્ય અંગે રાજ્યપાલશ્રીએ સાત્વિક આહાર અપનાવવાનો સંદેશ આપતા તમાકુ, દારૂ અને ગુટકા જેવા વ્યસનોથી દૂર રહેવા જણાવ્યું હતું. વ્યસનોથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ ફેલાય છે અને પરિવારની આર્થિક તથા સામાજિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે તેમ તેમણે ઉમેર્યું હતું.નવી પેઢીના સંસ્કાર અને શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે સંસ્કારી અને વ્યસનમુક્ત સંતાનો જ દેશ અને સમાજનું ભવિષ્ય સુરક્ષિત રાખી શકે છે. બાળકોને શિક્ષણ સાથે સારા સંસ્કારો આપવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.ખેડૂતોને સંબોધતા રાજ્યપાલશ્રીએ યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી. ખેતી સાથે પશુપાલન અપનાવી આવકમાં વધારો કરવાની પણ તેમણે સલાહ આપી હતી.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણય વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઓડ

