
સમાચાર:વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વૈષ્ણવોના વ્રજ સમાન સુખધામ હવેલી ખાતે આવતી 23 માર્ચ, સોમવારના રોજ મૉ યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવશે. આ પાવન પ્રસંગે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડો. વાગીશ કુમારજી મહારાજશ્રી, લાલનશ્રીઓ પૂ. શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી અને પૂ. શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રી પોતાના પરિવાર સાથે પધારશે.આ મહોત્સવના મુખ્ય મનોરથી તરીકે સંખેડા દ્વારકાધીશ હવેલીના મુખ્ય ટ્રસ્ટી અલ્કેશભાઈ કે. તમાકુવાલાના સહયોગથી ભક્તિભાવથી કાર્યક્રમો યોજાશે.

કાર્યક્રમ મુજબ સવારે 10:00 વાગ્યે શુભકામ હવેલી ખાતે નંદ મહોત્સવ યોજાશે. ત્યારબાદ બપોરે 3:30 વાગ્યે મનોરથીના નિવાસસ્થાને (એ/42 આધાર સોસાયટી, નાલંદા પાણીની ટાંકી પાસે) યમુનાષ્ટક પાઠનું પઠન અને ગાન થશે.આ પછી વૈષ્ણવાચાર્યશ્રીઓની પાવન નિશ્રામાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા વાઘોડિયા રોડના રાજમાર્ગો પરથી પસાર થઈ સુખધામ અને યમુના નિકુંજ હવેલી પહોંચશે. સાંજે 6:30 વાગ્યે મૉ યમુનાજીનો ચુંદડી મનોરથ દર્શન યોજાશે.અંતે, સાંજે 8:00 વાગ્યે સંખેડા દશાલાડ ભવન, વાઘોડિયા રોડ ખાતે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મનોરથી અલ્કેશભાઈ તમાકુવાલા દ્વારા સમગ્ર વૈષ્ણવ સમાજને મહોત્સવમાં સહર્ષ ભાગ લેવા આમંત્રણ પાઠવાયું છે.


