
ડભોઈ નગરની મધ્યમાં લાલ બજાર પાસે મોતીબાગ જવાના માર્ગ પાસે આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિજીના મંદિરે આજે સંકટ ચતુર્થી ( અંગારકી ચોથ)હોવાથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. મંદિર પ્રસારણ દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
સાંજે આરતી કરવામાં આવી હતી અને ચંદ્ર દર્શન રાત્રે 09:17કલાકે કરવામાં આવ્યા હતાં. ડભોઇ નગરમાં આ મંદિર અઢીસો વર્ષ પૂર્વેના વડોદરાના રાજા ગાયકવાડ શાસનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.દરેક ચોથના દિવસે મોટી સંખ્યામાં ભક્તજનો દશૅન કરવા માટે ઉમટી પડતાં હોય છે.ભકતો દ્વારા આ મંદિરેથી લીધેલી ટેક ચોક્કસ પરિપૂર્ણ થાય છે. જેથી ભક્તજનોમાં ભારે શ્રદ્ધા રહેલી છે.

અંગારકી ચોથનો મહિમા
મંગળવાર સાથે વદ-ચોથ આવે તેને અંગારકી ચોથ કહેવાય છે. જેને સંકટ ચતુર્થી એટલે કે, સંકટમાંથી મુક્ત કરવાવાળી ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે. આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે અને ભગવાન વિનાયક તમામ સંકટ હરે છે. દર મહિને પૂર્ણિમા પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. જ્યારે અમાસ પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમ મહિનામાં બે વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. એક અંગારકી ચોથનો ઉપવાસ કરવા પર 21 ચોથ કર્યાનું ફળ અને પુણ્ય મળે છે.

અંગારકી ચોથનો ગણેશ ભક્તોમાં મહિમા
અંગારકી ચોથનો ગણેશ ભક્તોમાં અનન્ય મહિમા છે. ભક્તો વ્રત ઉપવાસ કરી ગણેશ સ્તોત્ર અને અથર્વશીર્ષના પાઠ કરે છે. રાત્રે ચંદ્રોદય પછી જ ચંદ્રની પૂજા-અર્ચના કરી પ્રસાદી ગ્રહણ કરે છે. વિદ્યાર્થી વર્ગ માટે પરીક્ષામાં સફળતા મેળવવા અંગારકી ચોથના દિવસે લાલ કરેણ અથવા જાસૂદનું ફૂલ ચઢાવવું જોઇએ.
અંગારક ચતુર્થી કેમ કહેવામાં આવે છે
અંગારકી ચોથ સાથે એક પૌરાણિક માન્યતા અનુસાર એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે. ભારદ્વાજ ઋષિ ગણેશજીના પરમ ભક્ત હતા. તો તેમના પૂત્ર અંગારક ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્ત બન્યા. અંગારક ઋષિ વિધ્નહર્તાની ભકિત કરવા લાગ્યા તેમની તપસ્યા અને ભાવ જોઇને ભગવાન ગણેશજી તેમનાં ઉપર પ્રસન્ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું. આ સમયે અંગારક ઋષિએ ભારે નમ્રતાથી કહ્યુ પ્રભુ તમારી કૃપા જોઇએ આ દિવસથી યોગ અને સંયોગ જોઇને ચર્તુથી અને મંગળવારના દિવસ આવતો યોગ અને અંગારક ચતુર્થી નામ આપવામાં આવ્યું.
મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ
ડભોઇ નગરીમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરે દર ચોથના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતી માટે આવતા હોય છે. આજરોજ અંગારકી ચોથ નિમિત્તે પણ મંદીરના વહીવટ કરતાઓ દ્વારા સુગમ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. જેને લઈને ભક્તો શાંતિથી દર્શન અને આરતીનો લાભ પણ લઈ શકે. ઉપસ્થિત સૌ ભક્તજનોએ ભારે શ્રદ્ધાભેર આરતી કરી ધન્યતા અનુભવી હતી.


