
પરમાનંદ સોની હાલોલ દ્વારા
વડોદરા- ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં જિલ્લા-વાર યોજના અંતર્ગત પસંદગી પામેલા ટ્રેનરો સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આશરે ૪૦ જેટલા ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ માસ્ટર ટ્રેનર ખેડૂતોને હાલની સમસ્યાઓ, તેના ઉકેલ, રિસોર્સ સેન્ટર્સની સ્થિતિ અને કામગીરીનું મૂલ્યાંકન કરી આવનારી કામગીરીને વધુ અસરકારક બનાવવાનો હતો.કુલપતિશ્રીએ પોતાના સંબોધનમાં પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે આ પદ્ધતિ જમીનની ઉર્વરતા જાળવી રાખે છે, ઉત્પાદન ખર્ચ ઘટાડે છે અને રસાયણમુક્ત, આરોગ્યપ્રદ ઉપજ આપે છે.

સંશોધન નિયામક ડૉ. ગોપાલ વડોદરીયાએ વાવણી પદ્ધતિ, જમીનની તૈયારી, બીજ ઉપચાર અને બાયોઈનપુટ્સના ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું, સાથે જ ફાર્મના વિવિધ મોડેલો અંગે માહિતી આપી.વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. રશ્મિકાન્ત ગુર્જરે પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક પાસાઓ, જમીનના સ્વાસ્થ્ય સંવર્ધન અને ઓછી ખર્ચે વધુ આવક મેળવવાના માર્ગો વિશે વિસ્તૃત સમજણ આપી.

કાર્યક્રમનું સંચાલન ડૉ. મુકેશ ચૌધરી અને રિસર્ચ એસોસીએટ ધ્વની બર્તવાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર આયોજનમાં સિનિયર રિસર્ચ ફેલો બિનલ ગજેરા સહિતની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.કાર્યક્રમ દરમિયાન ૪૦ જેટલા સેન્ટરોમાંથી આવેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સંબંધિત ફોલ્ડર્સ, પેન, પ્લાસ્ટિક કબાટ તેમજ ચોમાસા માટે PMDS નિદર્શન બિયારણ આપવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂતો દ્વારા તેમની કામગીરીના પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા અને આગામી ઋતુ માટેની કૃષિ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમને ખેડૂતો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.


