
અધિક માસ નિમિત્તે વૈષ્ણવોના વ્રજ આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે તા. 17-05-2026 થી 23 મે સુધી આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનો ભવ્ય મંગલ પ્રારંભ થયો હતો. સાક્ષાત મા અમ્માજી સ્વરૂપ, વંદનીય તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ ગોસ્વામી 108 શ્રી ડો. વાગીશ કુમારજી મહારાજ શ્રી, વંદનીય અ.સૌ. વહુજી તથા લાલન વેદાંતકુમારજી મહોદય શ્રી ના શુભ આશીર્વાદથી મનોરથી બંસીલાલ શાહ પરિવાર દ્વારા આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.સુખધામ હવેલીના પ્રાંગણમાં વ્યાસપીઠ પરથી ધવલભાઈ જોશી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.

પૂજ્ય શ્રી સિદ્ધાંતકુમારજી મહોદય શ્રી ની મંગલમય ઉપસ્થિતિમાં શ્રીમદ્ ભાગવત પોથીનું ધાર્મિક વિધિ અને પૂજન સાથે મંગલ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.વચનામૃત દરમિયાન જણાવાયું હતું કે અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે માનવામાં આવે છે. આ પવિત્ર માસ દરમિયાન ગૌદાન, અન્નદાન, જરૂરિયાતમંદોની સેવા તથા પ્રભુસેવામાં તન-મન-ધનથી સમર્પિત થવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. કથાના પ્રથમ દિવસે જ વિશાળ સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી કથાનું ભાવપૂર્વક શ્રવણ કર્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

