
( પરમાનંદ સોની હાલોલ દ્વારા)
આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને વૈશ્વિક માનવતાવાદી આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગયા અઠવાડિયામાં ગુજરાતના વાસદ, સુરત અને અમદાવાદ શહેરોની મુલાકાતે પધાર્યા હતા. તેમની ઉપસ્થિતિમાં હજારો સાધકો, યુવાનો અને ભક્તો ધ્યાન, જ્ઞાન, સત્સંગ અને સંવાદ માટે ઉમટી પડ્યા હતા.વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં ગુરુદેવે સેંકડો કોલેજ યુવાનો, ગ્રામજનો તેમજ અંદાજે ૫,૦૦૦થી વધુ ભક્તો સાથે સીધો સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં અમેરિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ અને મેક્સિકોથી આવેલા આંતરરાષ્ટ્રીય સાધકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જે ગુરુદેવના ઉપદેશોની વૈશ્વિક અસર દર્શાવે છે.


ત્યારબાદ ગુરુદેવ સુરત અને અમદાવાદ પહોંચ્યા, જ્યાં અંદાજે ૧૨,૦૦૦થી વધુ લોકોએ વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ જ્ઞાન, હાસ્ય, સંગીત અને આધ્યાત્મિક માર્ગદર્શનથી ભરપૂર અનોખી સાંજનો અનુભવ કર્યો.વાસદના સત્સંગ દરમિયાન ગુરુદેવે ક્રિષ્ણા નું ઉદાહરણ આપતા જણાવ્યું કે, “ભગવાન કૃષ્ણ સમગ્ર વિશ્વની જવાબદારી વહન કરે છે, છતાં તેમના મસ્તક પરનો મોરપીછનો મુકુટ ક્યારેય ભારરૂપ લાગતો નથી. જીવનમાં જવાબદારીઓ હોવા છતાં હળવાશ અને સ્મિત જાળવી રાખવું જરૂરી છે. જાણો કે તમે એકલા નથી; કોઈ દિવ્ય શક્તિ તમારો સહારો બની રહી છે.”સુરત અને અમદાવાદમાં પણ આનંદ અને ભક્તિના માહોલ વચ્ચે ગુરુદેવે જીવનમાં સંતુલનની મહત્વતા સમજાવી. તેમણે કહ્યું, “જીવન દોડ નથી. જ્યારે મનમાં શાંતિ અને ધીરજ હોય છે,

ત્યારે બધું સ્વાભાવિક રીતે પ્રસ્ફૂટિત થાય છે.”ગુરુદેવે વિવિધતાની સુંદરતા પર ભાર મૂકતા જણાવ્યું કે ઈશ્વરે આ રંગબેરંગી વિશ્વ આનંદ માટે રચ્યું છે અને દરેક વ્યક્તિ અનોખી છે. હાસ્યને નકારાત્મકતા દૂર કરવાની શક્તિ તરીકે વર્ણવતા તેમણે કહ્યું, “જો કોઈ તમને અપશબ્દ કહે, તો તેના જવાબમાં સ્મિત આપો. જ્યાં હાસ્ય છે, ત્યાં નકારાત્મકતા ઓગળી જાય છે.”આ સમગ્ર પ્રવાસ દરમિયાન ગુરુદેવે શાંતિ, પ્રેમ, એકતા, સેવા, સાધના અને સત્સંગનો સંદેશ પ્રસારિત કર્યો. તેમનો આ ગુજરાત પ્રવાસ ભક્તો અને સાધકો માટે નિશ્ચિત રૂપે યાદગાર બની રહ્યો છે.

