
ડભોઇમાં ચેક બાઉન્સ અને ઠગાઈના કેસમાં અદાલતે કડક વલણ દાખવતા દંપતીમાંથી યુવતી તમાકુવાલાને એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમના બમણા દંડની સજા ફટકારી છે.માહિતી અનુસાર, ચાંદોદના સ્વ. ભટ્ટ કિશોરકુમાર રમેશચંદ્ર શાસ્ત્રીના પરિવારે પ્રણવ તમાકુવાલાની દુબઈ ટ્રિપ ઓફર સ્વીકારીને પાંચ લાખથી વધુ રકમ ચુકવી હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ તેમને ખબર પડી કે “ડ્રીમ ઇન્ટરનેશનલ” એજન્સી દ્વારા ટિકિટો રદ કરી રિફંડ લઈ લેવાયું હતું. પ્રણવ તમાકુવાલાનો સંપર્ક ન થતાં પરિવારે છેતરપિંડીની શંકા વ્યક્ત કરી અને પરત ચાંદોદ ફરવું પડ્યું.

બાદમાં આરોપીઓએ પૈસા પરત આપવાના આશ્વાસન આપ્યા છતાં યોગ્ય જવાબ ન મળતાં પરિવારે દબાણ કર્યું હતું. ત્યારબાદ દંપતીએ બે અલગ-અલગ બેંકના ચેક આપ્યા, જે બન્ને બાઉન્સ થયા હતા. આ કેસમાં પીડિત પક્ષના વકીલ જાવેદ પઠાણ દ્વારા મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી, જેના આધારે અદાલતે આ ચુકાદો આપ્યો છે.હાલમાં પ્રણવ તમાકુવાલા વિરુદ્ધનો કેસ અંતિમ તબક્કામાં છે અને કોર્ટનો આગામી નિર્ણય શું આવે છે તે જોવાનું રહ્યું છે.

