
“દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ એક પગલું”
આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલની વિશેષ ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને સહાયરૂપ થવા તથા તેમની દૈનિક જીવનમાં ગતિશીલતા વધારવાના હેતુસર દિવ્યાંગ સાધન વિતરણ કાર્યક્રમમાં મોટોરાઈઝ્ડ ટ્રાયસિકલ તેમજ જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અનુસંધાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક વિક્રમસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, વડોદરા દ્વારા દિવ્યાંગજનોને સહાયરૂપ થવા અને તેમની દૈનિક જીવનમાં સરળ ગતિશીલતા સુનિશ્ચિત કરવા હેતુસર જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી, વડોદરા ખાતે દિવ્યાંગ સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વડોદરા જિલ્લાના આસપાસના તાલુકાઓમાંથી કુલ-૪૧ દિવ્યાંગ લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

કેમ્પ દરમિયાન લાભાર્થીઓની જરૂરિયાત અને યોગ્યતા મુજબ મોટોરાઈઝ્ડ ટ્રાયસિકલ તેમજ જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો દ્વારા દિવ્યાંગજનોને તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં સરળતા પ્રાપ્ત થાય તેમજ તેઓ વધુ સ્વાવલંબન સાથે જીવન કુશળતાથી જીવી શકે તે હતો, કેમ્પ દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભગીરથસિંહ ચુડાસમા દ્વારા લાભાર્થીઓને મોટોરાઈઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરના યોગ્ય ઉપયોગ, સંભાળ અને જાળવણી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તેમણે લાભાર્થીઓને આ સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને પોતાની દૈનિક પ્રવૃત્તિઓ સરળતાથી પાર પાડી શકે તે અંગે સમજણ આપી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, વડોદરા દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી. લાભાર્થીઓએ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી આ મહત્વપૂર્ણ સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં તમામ લાભાર્થીઓને સાધનો વિતરણ કરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.


